IPS શશિધર સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર

Saturday 18th January 2020 05:12 EST
 
 

અમદાવાદઃ ગુજરાત કેડરના આઈપીએસ અિધકારી મનોજ શશિધરને સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર બનાવાયા છે. કેન્દ્ર સરકારે ૧૭મી જાન્યુ.એ નિમણૂક અંગેનો ઓર્ડર આપ્યો હતો. શશિધર ગાંધીનગરમાં ઈન્ટેલિજન્સ બ્યુરોના એડિશનલ ડિરેક્ટર જનરલના હોદ્દે હતા. વડોદરાના પોલીસ કમિશનર રહી ચૂકેલા શશિધર રાજ્યના વિવિધ પ્રાંતમાં કામ કરી ચૂક્યા છે. તેઓ ૧૯૯૪ ની બેચના આઈપીએસ છે. ઉલ્લેખનીય છે કે આ નિમણૂક આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગન મોહન રેડ્ડીના સીબીઆઈ કેસ અર્થે થયાનું મનાય છે. થોડા દિવસ પહેલા આંધ્રના વાયઆરએસ-સી'ના નેતા વિજયસાઈ રેડ્ડીએ અમિત શાહને એવો પત્ર લખ્યો હતો કે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર તરીકે એવી વ્યક્તિની નિમણૂક થવી જોઈએ જે આંધ્ર કેડરના ન હોય કેમ કે સીબીઆઈના અગાઉ જેડી લક્ષ્મીનારાયણન આંધ્રના હતા અને તેમનો ચંદ્રબાબુ નાયડુ સાથે ઘરોબો હતો.

નાયડુને હરાવીને આંધ્રમાં જગનમોહન સત્તા પર આવ્યા છે. અપ્રમાણસર સંપતિ મામલે જગનમોહન સામે સીબીઆઈ તપાસ ચાલે છે. વિજયસાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે લક્ષ્મીનારાયણન ચંદ્રબાબુના ખાસ હોવાથી એ નિષ્પક્ષ નહીં પરંતુ જગનમોહનની મુશ્કેલી વધે એ પ્રકારે કેસ હેન્ડલ કરી રહ્યાં છે. જેડી ક્રિષ્નન પણ તેલુગુ છે અને લક્ષ્મીનારાયણનની નજીકના અિધકારી મનાય છે. ત્રીજા એક અધિકારી જે સીબીઆઈના જેડી બનવા માટે પ્રયાસ કરતા હતા એ પણ આંધ્રના હતા.
આંધ્રના અધિકારી આંધ્રના જ મુખ્ય પ્રધાન વિરુદ્ધ તપાસ કરે તો તપાસમાં ગરબડની શક્યતા રહે. તેથી જેમને આંધ્ર કેડર સાથે કોઈ સબંધ ન હોય એવા અિધકારીને હવે જેડી તરીકે નિમવા જોઈએ. એ પછી અમિત શાહની નજીક ગણાતા અધિકારી મનોજ શશિધરની નિમણૂક સીબીઆઈના જેડી તરીકે થઈ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter